નરેન્દ્ર મોદીનો 14 વર્ષનો 'સત્તા'વાસ, પાંચ વખત શપથ, બદલાતા રહ્યાં છે મોદી અને સંજોગો

નેશનલ ડેસ્ક : તા. 7 ઓક્ટોબર. ઉપરથી જોતા આ તારીખ 'અન્ય કોઈ ' તારીખ જેવી જ જણાય, તેનું કોઈ 'ઐતિહાસિક કે સાંકેતિક' મહત્વ જણાતું નથી. જો કે, આજની તારીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની મહત્વપૂર્ણ તારીખ છે. આ દિવસે તેમણે સૌપ્રથમ વખત ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેની શાસનધૂરા સંભાળી હતી. 14 વર્ષમાં સાબરમતી નદીમાં ઘણું પાણી વહી ગયું છે. ગુજરાતના માર્ગે વડાપ્રધાન મોદી દિલ્હી સુધી પહોંચી ગયા છે. દેશમાં પ્રથમ વખત ભાજપની પૂર્ણ બહુમતવાળી સરકાર બની છે. લગભગ ત્રીસ વર્ષના 'ગઠબંધન યુગ' બાદ પ્રથમ વખત દેશમાં કોઈ એક પક્ષની સરકાર બની છે. તેનો શ્રેય પણ વડાપ્રધાન મોદીને આપવામાં આવે છે. 
14 વર્ષના સત્તાવાસમાં મોદી.
 
તા. 7 ઓક્ટોબર 2001ના લીધા પ્રથમ વખત શપથ
 
ભૂકંપ બાદની નબળી કામગીરીના કારણે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ સામે અસંતોષ ઊભો થયો હતો. તેમના સ્થાને નરેન્દ્ર મોદીને બેસાડવામાં આવ્યા હતા. શંકરસિંહના વર્ષ 1996ના બળવા પછી ગુજરાતમાં મોદીના પુનરાગમનની વાત અશક્ય લાગતી હતી જો કે, પાંચ વર્ષમાં મોદી 'ગુજરાતના નાથ ' બની પરત ફર્યા. 
 
પક્ષમાં બળવો કરવાની ચીમકી આપનારા કેશુભાઈ તથા મોદીના હાથ નીચે કામ કરવાનો ઈન્કાર કરનારા સુરેશભાઈ મહેતા તથા ગુજરાત ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા મોદી શપથ મેદાનમાં મોદીને આવકારવા સજ્જ થઈ ગયા હતા. 'હું સદ્દનસિબ અર્જુન છું, મને બે-બે કૃષ્ણ (કેશુભાઈ તથા સુરેશભાઈ) મળ્યા છે,' જેવું નિવેદન કરીને સંતુલન સ્થાપવાનો સંકેત આપ્યો.તમામને 'ઉપરથી ' સ્પષ્ટ આદેશ હતો કે મોદીને સહયોગ કરો. વલ્લભભાઈ કથિરીયા, સુરતના દિગ્ગજ નેતા કાશીરામ રાણાને પણ મુખ્યપ્રધાનપદના દાવેદાર માનવામાં આવતા હતા. સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી કેશુભાઈના વિકલ્પ મનાતા તત્કાલીન નાણાપ્રધાન વજુભાઈ વાળાએ તેમની રાજકોટ-2ની બેઠક મોદી માટે ખાલી કરી આપી. મોદી માટે આ 'સૌથી સેફ ' સીટ હતી અને અપેક્ષા પ્રમાણે જ તેમનો ભવ્ય વિજય પણ થયો. 
 
શપથ કાર્યક્રમમાં તત્કાલીન સંરક્ષણપ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસ, ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, યુપીના મુખ્યપ્રધાન રાજનાથસિંહ સહિતના નેતાઓ હાજર હતા. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય શપથ સમારંભમાં લગભગ પચાસ હજાર જેટલા ભાજપના કાર્યકરો આ કાર્યક્રમમાં હજાર રહ્યા હતા. રાજ્યપાલ સુંદરસિંહ ભંડારીએ નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાનપદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. આ પહેલા ગાંધીનગરમાં પાંચ મહાનુભાવોને 'સાંકેતિક' પુષ્પાર્પણ મોદીએ કર્યાં. સંઘ કોઈ 'ઓબીસી'ને મુખ્યપ્રધાન બનાવે તે વાત એ સમય માટે નવી હતી. કલ્યાણસિંહ જેવા બહુ જૂજ અપવાદ હતા. 
 

Comments