પાટીદાર આંદોલનકારી સામેના કૂણા વલણ અંગે કેન્દ્રીય ગૃહવિભાગ નારાજ

ગુજરાત સરકારના

શાંતિ ડહોળનારાં તત્ત્વો સામે પગલાં ભરવા આદેશ

સરકાર આવાં તત્ત્વોને છાવરતી હોવાનો મત

બે મહિનાથી અનામત આંદોલન ચાલી રહ્યું છે જેને થાળે પાડવામાં ગુજરાત સરકાર તમામ મોરચે નિષ્ફળ છે. આજે પાટીદારો અને ઓબીસી સામસામે છે ત્યારે વર્ગવિગ્રહની પરિસ્થિતિ નિર્માણ થઇ છે. આજે કેન્દ્રિય ગૃહ વિભાગે તમામ રાજ્યોને શાંતિ ડહોળવાનો તત્વો સામે કડક હાથે કામ લેવા આદેશ કર્યો છે પરિણામે પાટીદારો પ્રત્યે કુણુ વલણ દાખવતી ગુજરાત સરકાર હવે મૂશ્કેલીમાં મૂકાઇ છે. બે મહિનાથી સરકાર આંદોલનને ડામવામાં નિષ્ફળ નિવડી છે કે પછી સરકાર જ પાછલા બારણે આંદોલનકારીઓને છાવરી રહી છે તેમ આમજનતામાં ચર્ચાઇ રહ્યું છે.
ખેડૂતોનું મહાસંમેલન હોય, દલિતો-મજદૂર સંઘની રેલી હોય ,કામદારોના ધરણાં હોય કે,સરકારી કર્મચારીઓના દેખાવો , ભાજપ સરકાર કોઇપણ સરકાર વિરોધી અવાજ દબાવી દેવામાં માહિર છે પણ છેલ્લાં બે મહિનાથી સતત ચાલી રહેલાં પાટીદારો સામે સરકાર કેમ ઘૂંટણિયે પડી છે તે લોકોને સમજાતુ નથી. ગુજરાતમાં પાટીદારોના આંદોલનને પગલે છેક વિદેશમાં વિકાસ મોડેલની પોલ ઉઘાડી પડી ગઇ છે તેમ છતાંયે ભાજપ સરકાર એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી. હાર્દિક પટેલ ખુલ્લેઆમ પોલીસને મારી નાખવાની તેજાબી સલાહ આપે છે પણ પોલીસ કે સરકાર કોઇ પગલાં ભરવા તૈયાર નથી. પોલીસ સામે અપહરણનું નાટક છેક હાઇકોર્ટ સુધી પહોંચ્યું તેમ છતાંયે કુલડીમાં ગોળ ભાંગી નંખાયો છે. આમ છતાંયે સરકાર કોઇ પગલાં લેતી નથી.
ગુજરાતમાં અત્યારે એવી સ્થિતિ છેકે,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ ભાજપ સરકાર યોજવા તૈયાર નથી. વર્ગવિગ્રહની સ્થિતિ ઘેરી બનતાં છેક કેન્દ્ર સરકારે પણ ગંભીર નોંધ લીધી છે. તમામ રાજ્યોને શાંતિ ડહોળતાં તત્વો સામે કડકહાથે પગલાં ભરવા આદેશ કર્યો છે ત્યારે હવે પાટીદારો સામે પગલાં ભરવા જાય તો સમાજનો વિરોધનો સામનો કરવો પડે તેવી ભિતીને પગલે ગુજરાત સરકાર મુશ્કેલી વધી છે.પાટીદાર ધાર્મિક સંસ્થાઓએ પણ અનામત આંદોલનને ટેકો આપ્યો છે. હવે જો પગલાં ન લે તો આમજનતામાં ભાજપ સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છે જેથી ગુજરાત સરકારની મુશ્કેલી વધી છે.

Comments