મમ્મીએ કીધું'તું કે જલ્દી પાછી આવી જઇશ, હવે મારું કોણઃ 17 વર્ષીય હેતલ

માતા-પિતા અને બહેન ગુમાવનાર હેતલરાજકોટઃ લખતર વિરામગામ રસ્તા પર ટ્રકના અકસ્‍માતમાં રાજકોટના ભરવાડ દંપતિ-પુત્ર અને સુથાર મહિલા, તેના બહેન, બનેવી તથા ભાણેજ એમ ચાર સભ્‍યોના મોતથી સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો છે. ૧૭ વર્ષની હેતલ ત્રાટીયાએ માતા-પિતા અને બહેન એક સાથે ગૂમાવતાં નોંધારી થઇ ગઇ છે. તેને પણ સાથે આવવા માતા-પિતા અને બહેને આગ્રહ કર્યો હતો, જલ્‍દી પાછી આવી જઇશ. તેવું કહી મમ્મી નિકળ્યા હતા. મને પણ સાથે લઇ જવાનો આગ્રહ કર્યો હતો પરંતુ મારી ઇચ્છા ન હતી એટલે હું ઘરે રહી હતી. પરંતુ હું સાથે ગઇ હોત તો સારું હતું, હું પણ મમ્મી પાસે ઉપર સાથે જતી રહેતને. આ શબ્દો છે સુથાર પરિવારમાં એક માત્ર બચી ગયેલી હેતલના.
અકસ્‍માતમાં કાળનો કોળીયો બનેલા નાના મવા શાસ્ત્રીનગર (અજમેરા) બ્‍લોક નં. બી-૧૩માં રહેતાં વિભાબેન પ્રફુલભાઇ સંચાણીયા (ઉ.૪૮)ના પતિ પ્રફુલભાઇ સંચાણીયા સુથારી કામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્રી ઇશા(ઉ.૨૩), કોમલ (ઉ.૨૨) અને એક પુત્ર મિતેષ (ઉ.૧૮) છે. ઇશા પરિણીત છે જ્‍યારે કોમલ બી.કોમમાં અને મિતેષ એન્‍જીનિયરીંગનો અભ્‍યાસ કરે છે.

વિભાબેન સાથે જ કોઠારીયા રોડ હુડકો ક્‍વાર્ટર એ-૨૩માં રહેતાં તેમના નાના બહેન પુષ્‍પાબેન ગિરીશભાઇ ત્રાટીયા (ઉ.૪૫), બનેવી ગિરીશભાઇ મગનભાઇ ત્રાટીયા (ઉ.૪૮) અને ભાણેજ તારકેશ્વરી ગિરીશભાઇ ત્રાટીયા (ઉ.૨૧) પણ કાળનો કોળીયો બની ગયા છે. ગિરીશભાઇના પરિવારમાં હવે એક નાની દિકરી હેતલ (ઉ.૧૭) નોધારી થઇ ગઇ છે. હેતલને પણ સાથે આવવા માતા-પિતા અને બહેને આગ્રહ કર્યો હતો. પરંતુ તેણે પોતાની ઇચ્‍છા નહીં હોવાનું કહેતાં તેને લઇ જવાઇ નહોતી. તે નાના મવા શાસ્ત્રીનગરમાં માસી વિભાબેન સંચાણીયાને ત્‍યાં જ રોકાઇ હતી. આજે સવારે ઘટનાની જાણ થઇ ત્‍યારે તે માસીના ઘરે જ હતી. પરંતુ તેને માતા-પિતા-બહેન અને માસીના અકસ્‍માતમાં મૃત્‍યુ થયાની મોડી બપોર સુધી જાણ કરવામાં આવી નહોતી.
 

Comments